આંખોની સામે જ પુત્ર ટ્રેન નીચે કપાયો,મૃતદેહ પાસે હૈયાફાટ રુદન કરતાં પિતાને બીજી ટ્રેન ચગદીને જતી રહી
મધ્યપ્રદેશ : આવી હ્રદયદ્રાવક ઘટના લગભગ જ સાંભળી હશે. મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પિતાની સામે જ પોતાનો પુત્ર ટ્રેન નીચે કપાઈ ગયો. જવાન પુત્રની કપાઈ ગયેલો મૃતદેહ જોઈને પિતા ભાન ગુમાવી બેઠા હતા, અને તેઓ રેલવે ટ્રેક પર જ બેસીને આક્રંદ કરવા લાગ્યા. તેજ સમયે એક બીજી ટ્રેન આવી જેની ઝપેટમાં પિતા પણ આવી ગયા. ટ્રેન હડફેટે આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા પરંતુ હોસ્પિટલે લઈ જતા સમયે જ તેમનું મોત થઈ ગયું.
ઘટના સોહાગપુરના મારુપુરામાં ગુરુવારે રાત્રે 12-30 વાગ્યે ઘટી હતી. રાત્રે છોટેલાલ વિશ્વકર્મા (36)નો પરિવાર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો. તે ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયો. તેને મનાવવા માટે તેમના પિતા મોહનલાલ (60) પણ પાછળ પાછળ ગયા. છોટેલાલ ઘરથી 100 મીટરના અંતરે જ આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યો અને ત્યાં બેસીને ટ્રેનની રાહ જોવા લાગ્યો. તે સમયે તેના પિતા મોહનલાલ મનાવી રહ્યાં હતા. આ દરમિયાન જ ટ્રેન આવી અને છોટેલાલ તે ટ્રેનની ઝપેટમાં આવી ગયા. ટ્રેન ફાસ્ટ હોવાથી તેના શરીરના ચીથડે ચીથડા ઊડી ગયા. તેના શરીરના અંગ ટ્રેક પર 200 મીટર સુધી ફેલાઈ ગયા.
વૃદ્ધ પિતાની આંખોની સામે જ જવાન પુત્રના કટકા થતાં જોઈ મોહનલાલ ભાન ગુમાવી બેઠાં. જે બાદ તેઓ રેલવે ટ્રેક પર જ આક્રંદ કરવા લાગ્યા અને બેભાન થઈ ગયા. આ દરમિયાન બીજી ટ્રેન આવી જેની ઝપેટમાં પિતા પણ આવી ગયા. એન્જિન સાથે અથડાઈને પિતા મોહનલાલ દૂર ફેંકાય ગયા. માથામાં ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જતા સમયે તેમનું મૃત્યુ થઈ ગયું. પિતા-પુત્રના મૃત્યુથી સોહાગપુરમાં તેમના વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ. પિતા-પુત્રના એક સાથે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા. પોલીસે આ અંગે પરિવાર સાથે વાત કરી તો વિવાદની વાત સામે આવી.
પુત્રવધૂ દિવાળી પછી ઘરે જ પરત ફરી ન હતી, પુત્ર તણાવમાં હતો
પિતા-પુત્ર બંને ફર્નીચરનું કામ કરતા હતા. GRP SI એસએસ શુક્લાએ જણાવ્યું કે છોટેલાલની પત્ની પ્રીતિ પોતાના સાસરેથી દૂર ખેરુઆમાં રહે છે. પરિવારના સભ્યોએ છોટેલાલ અને તેમની પત્ની વચ્ચે વિવાદ ચાલતો હોવાની વાત જણાવી, જેના કારણે તે ભારે તણાવમાં રહેતો હતો. રાત્રે પણ આ વાતને લઈને જ પરિવારમાં વિવાદ થયો હતો. પોલીસને મળતી માહિતી મુજબ છોટેલાલના લગ્ન 11 વર્ષ પહેલાં પ્રીતિની સાથે થયા હતા. તેમનો શ્રેયાંશ (3) અને શોર્ય (5) નામના બે પુત્ર છે. પ્રીતિ એક મહિના પહેલાં દિવાળીના દિવસે જ ઘર છોડીને જતી રહી હતી. તે ખેરુઆ ગામમાં રહે ચે. બંને પુત્ર પિતા અને દાદા-દાદીની સાથે જ રહેતા હતા. પત્ની રિસામણે હોવાથી છોટેલાલ દુખી તેમજ માનસિક તણાવમાં રહેતો હતો.
200 મીટર સુધી વિખરાયો મૃતદેહ, એક-એક કરીને ભેગાં કરવામાં આવ્યા
મૃતકનું ઘર ઘટનાસ્થળેથી લગભગ 100 મીટર દૂર છે. ટ્રેનની ઝપેટમાં આવ્યા બાદ છોટેલાલના શરીરના અંગ રેલવે ટ્રેક પર 200 મીટર સુધી વિખેરાઈ ગયા હતા. GRPએ મોડી રાત્રે તેમના અંગને એકત્રિત કર્યા.
માસૂમ પુત્રો પરથી પિતા અને દાદાનો આશરો છીનવાયો
મૃતક છોટેલાલ અને તેમના પિતા મોહનલાલ વિશ્વકર્મા ફર્નીચરનું કામ કરતા હતા. પરિવારમાં છોટેલાલ ઉપરાંત માતા રામવતી બાઈ, પિતા મોહન અને છોટેલાલના બે પુત્રો રહેતા હતા. છોટેલાલનો મોટો ભાઈ નારાયણ હોશંગાબાદમાં રહે છે. છોટેલાલ અને પિતા મોહનના મૃત્યુ પછી હવે ઘરમાં વૃદ્ધ માતા રામવતી બાઈ અને માસૂમ પુત્રો શ્રેયાંસ અને શોર્ય જ રહ્યાં છે.