હોસ્પિટલમાં સંબંધીના ખબર પૂછી પરત આવતાં હતાને શિક્ષકને મળ્યું દર્દનાક મોત, જોનારાઓ પણ રાડો પાડી ગયા, જુઓ શોકિંગ તસવીરો
એક શોકિગ અને આંચકાજનક કિસ્સો પાલનપુરથી સામે આવ્યો છે. રવિવારે સવારે હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના સમાચાર લઇ ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે હડકાઇ ગાય લોકોને અડફેટે લેતી જોઇ શિક્ષક પોતાની એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા. ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં ઘૂસતાં ગાયે તેમને એક્ટિવા ઉપરથી પટકી પગ અને શિંગડાં મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
બીમાર સંબંધીના સમાચાર લેવા ગયા હતા
જેમને 108 મારફત સારવાર અર્થે ખસેડાતાં સારવાર મળે તે પહેલાં જ શિક્ષકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો હતો.રવિવારે સવારે પાલનપુર ગોબરી રોડ નજીક આવેલ શ્રીરામનગર સોસાયટીના નિવૃત્ત શિક્ષક દશરથભાઈ લીમ્બાચીયા પોતાનું એક્ટિવા નંબર જીજે-08-એએસ-5586 લઈને હાઇવે ઉપર બિહારીબાગની સામે એક હોસ્પિટલમાં બીમાર સંબંધીના સમાચાર લેવા નીકળ્યા હતા. ત્યારબાદ સમાચાર લઇ ઘરે આવતાં હતા.
ગાયે પીછો કરી શિંગડાં મારી શરીરે ગંભીર રીતે ઘાયલ કર્યા
દરમિયાન હનુમાન ટેકરી એગોલા રોડ પર આવતા અચાનક રસ્તામાં હડકાઇ ગાય લોકોને મારતી હતી. ત્યારે દશરથભાઈ તે જોઇ ગાયની બાજુમાંથી એક્ટિવા પુરઝડપે લઇ નિકળ્યા હતા ત્યારે ગાયે પીછો કરતાં તેઓ હાઇવેની નિલકંઠ સોસાયટીમાં ઘૂસ્યા હતા જ્યાં સામેથી કોઇ રસ્તો ન આવતા તેઓ અટવાયા હતા. ત્યારે ગાયે તેમને એક્ટિવા ઉપરથી ઉછાળી નીચે પાડી પગ નીચે કચડી અને શિંગડા મારી શરીરે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર
આજુબાજુના લોકોએ દોડી આવી ગાયને ભગાડી દશરથભાઈને બચાવી 108 દ્વારા સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં દશરથભાઈ લીમ્બાચીયાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.નોંધનીય છે કે પાલનપુર શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધવા લાગ્યો છે. જ્યાં અવાર-નવાર વાહનચાલકો સહિત રાહદારીઓને અડફેટે લેતા હોય છે.
ત્રણ કલાકની જહેમત બાદ ગાય પકડાઈ
હડકાયી થયેલી ગાયએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી એગોલા રોડ નજીક રહેતા પૂર્વ નગરસેવક અતુલભાઈ ચોક્સી તાત્કાલિક પાલિકાને જાણ કરી તેમજ બજરંગ યુવક મંડળના સભ્યો આવીને ત્રણ કલાકની મહા મહેનતે ગાયને પકડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
એક માસથી આ ગાય બધાને અડફેટે લે છે
એગોલા રોડના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘આ ગાય છેલ્લા એક માસથી અહીંથી ચાલતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લે છે. આ અંગે પાલિકામાં મૌખિક રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી. જેને લઈ આજે એક વૃદ્ધને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે.’
21 દિવસ અગાઉ રાધનપુરમાં લડતા આખલાએ કિશોરને મારી નાખ્યો હતો
રાધનપુર શહેરમાં મીરાં દરવાજા પાસે 21 દિવસ અગાઉ મોડી સાંજે આખલાની અડફેટે 18 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતુ.જ્યાં ફરી પાલનપુરમાં ગાયે શિક્ષકને મારી નાખતાં અરેરાટી પ્રસરી છે.શોકિંગ બનાવ, હડકાયેલી ગાયે પહેલા શિક્ષકને એક્ટિવા પરથી પટક્યા, પછી પીછો કરી પગ-શિંગડાં મારી મોતને ઘાટ ઉતાર્યા