મેલડી માતાનાં દર્શનના ઓરતા અધૂરા રહ્યા,દર્શન કરવા જતાં એક જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો, ટ્રેલરે ટક્કર મારતાં કાર પલટી

ખેડા:જિલ્લાના મહુધા પંથકમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિને કાળ ભરખી ગયો છે. અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કારચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની એક જ પરિવારના સગાંસંબંધીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ લોકો ઈકો કાર લઈને આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શને જતાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલકની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

મંગળવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો           મહુધા તાલુકાના મંગળપુર પાટિયા પાસે મંગળવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી ઈકો કાર (નં. GJ-17-AH-0158) નડિયાદ તરફ આવી રહી હતી. ત્યારે સામેથી પૂરપાટે આવતા અજાણ્યા ટ્રેલરે ઉપરોક્ત કારને ટક્કર મારી હતી, આથી કાર ફંગોળાઈને રોડની સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાદ ટ્રેલરચાલક ફરાર થઈ ગયો હતો.

એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું            ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. એ બાદ કારમાં સવાર 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફત તરત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બે વ્યક્તિનાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવતાં તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આમ, આ અકસ્માતમાં 4 વ્યક્તિને કાળ ભરખી ગયો છે. જ્યારે કારચાલક અને અન્ય એક વ્યક્તિ નડિયાદ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાને પગલે ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું.

માતાજીનાં દર્શને જતાં અકસ્માત નડ્યો           કારચાલકે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની છે અને એક જ પરિવારના સગાંસંબંધીઓ થાય છે. તમામ લોકો મંગળવાર ભરવા સંતરામપુરથી નીકળી આણંદના મલાતજ ગામે આવેલાં મેલડી માતાજીનાં દર્શને જતાં વચ્ચે રસ્તામાં અકસ્માત નડ્યો છે. મહુધા પોલીસે કારચાલક જિતુભાઈ ભૂલાભાઈ ભોઈની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. તો વળી આ કાળનો કેવો સંયોગ કહેવાય મંગળવારના દિવસે મંગળવાર ભરવા જતાં મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો છે.

મૃતકોનાં નામ                                                સુરેશભાઈ અંબાલાલ ભોઈ (સ્થળ પર મૃત્યુ)    સંજયભાઈ અરજણભાઈ બારૈયા (નડિયાદ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ)                                   રાજુભાઈ શનાભાઈ ભોઈ (નડિયાદ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ)                                            સંજયભાઈ દિલીપભાઈ ભોઈ (અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ)                                              તમામ રહેવાસી સંતરામપુર, જિ. મહીસાગર

ઈજાગ્રસ્તનાં નામ                                               જિતુભાઈ ભૂલાભાઈ ભોઈ (કારચાલક)                   આકાશ અશોકભાઈ દેવડા (ડબગર)                         બન્ને રહેવાસી સંતરામપુર, જિ. મહીસાગર.

error: Content is protected !!