ઈન્ડિયન ક્રિકેટરોએ સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યા હતા. સુર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર મહાકાલના ચરણોમાં શિશ ઝુકાવતા ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેમણે પંચામૃત અભિષેક સાથે મહાકાલનું પૂજન કર્યું હતુ. ત્રણેયે પોતાના સાથી ક્રિકેટર રિષભ પંતનું જલ્દીથી સાજા થવા માટે પ્રર્થના કરી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 24 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વનડે મેચ રમાવાની છે. મેચ માટે બંને ટીમો ઈન્દોર પહોંચી ગઈ છે. ત્રણેય પ્લેયર ઈન્દોરથી જ ઉજ્જૈન ગયા હતા.
નંદી હોલમાં સાથે બેઠેલા લોકો ઓળખી જ ન શક્યા
ખેલાડીઓએ ધોતી-સાલ પહેરીને મંદિરમાં જઈને ગર્ભગૃહમાં મહાકાલનો પંચામૃત અભિષેક કર્યો હતો. ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયા પણ સાથે હતા. મહાકાલ મંદિરમાં ત્રણેય ક્રિકેટરો સામાન્ય ભક્તોની જેમ જ ભસ્મ આરતીમાં સામેલ થયા હતા.
તેઓ નંદી હોલમાં ભક્તોની વચ્ચે બેઠા હતા. આસપાસ બેઠેલા લોકો પણ તેમને ઓળખી શક્યા નહોતા. ત્રણેય ખેલાડીઓએ સામાન્ય ભક્તોની જેમ જ ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા.
મહાકાલના દર્શન કર્યા બાદ સુર્યકુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે મહાકાલનાં દર્શન કરીને ખુબ જ સારું લાગે છે. અમે મહાકાલની આરતીમાં સામેલ થયા હતા. ભગવાન મહાકાલનાં દર્શન કરીને મનમાં શાંતી અનુભવી રહ્યા છીએ. તેમણે વધુંમાં જણાવ્યું હતુ કે રિષભ પંતનું સાજા થવા માટે પ્રાર્થના કરી. તે સાજો થઈ જાય, બસ આપણા બધા માટે આ જ જરુરી છે.
30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં પંત ઘાયલ થયો હતો
ઈન્ડિયન ટીમનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં પંત ઘાયલ થયો હતો. રુડકી પાસે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. તે દિલ્હીથી કારમાં રુડકી જઈ રહ્યો હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યા હતો.
મુંબઈમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પંતની સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેના ઘુંટણની સર્જરી કરવામાં આવી હતી. તેની રિકવરીમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.