રાજકોટના વૃદ્ધાશ્રમની ‘સદભાવના’, બળદોને કતલખાને જતા રોકવા માટે શાળા ખોલી, 80 બળદ પાછળ રોજનો 4 હજારનો ખર્ચ

રાજકોટ: સદભાવના વૃદ્ધાશ્રમની સાચી સદભાવના જોવા મળી રહી છે. વૃદ્ધાશ્રમ દ્વાર મુંગા પશુઓની સેવાનું ઉત્તમ કાર્ય પણ થઈ રહ્યું છે. પહેલા વૃદ્ધો, ગાયો અને હવે રસ્તા પર આમતેમ ભટકતા અને રઝળતા બળદોને કતલખાને જતા રોકવા માટે સુંદર કાર્ય હાથ ધર્યું છે. આવા બળદોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. પહેલા નોરતાથી અત્યાર સુધીમાં 80 બળદ એકત્ર થઇ ગયા છે. પ્રથમ તબક્કામાં 2000 બળદને આજીવન આશરો આપી દેખભાળ કરવાની નેમ લીધી છે. ગાયો માટે જેમ ગૌશાળા ચાલે છે તેમ હવે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે બળદો માટે શાળા ખોલી સમાજમાં નવી પ્રેરણા પૂરી પાડી છે.એક બળદ દીઠ 50 રૂપિયા ખર્ચ થાય છે, હાલ 80 બળદ છે તો રોજનો 4000 હજાર ખર્ચ આગામી દિવસોમાં બળદની સંખ્યા વધશે, તેમ બળદ દીઠ વધુ 50 રૂપિયાનો ખર્ચ થશે.

જીવનભરનો આશ્રય                                     સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગાયની સાથે સાથે બળદોની જિંદગી બચાવવા અપીલ કરવામાં આવી રહી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીનકાળમાં પણ જ્યારે સાધનોની શોધ થઇ નહોતી ત્યારે મુસાફરી કરવા તેમજ માલ-સામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો આપણી સંસ્કૃતિ, વારસો કહેવાય. ઈશ્વરની આવી દુર્લભ દેન ગૌવંશ બળદને સદભાવના વૃદ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

2000 બળદને આશરો અપાશે                         ગુજરાતનાં કોઈ પણ ગામ, શહેર, હાઈવે પર બળદ છૂટા, રખડતા, લાચાર, બીમાર કે વયોવૃદ્ધ અવસ્થામાં જોવા મળે તો તુરંત જ સદભાવના વૃદ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રિત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ-બિમારીથી કમોતે મરતાં 2000 જેટલાં બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આજીવન, નિ:શુલ્ક આશરો આપવામાં આવશે.

2000 બળદની સારસંભાળનો નિર્ણય            સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ગાયો માટે ગૌશાળા અનેક છે. પરંતુ બળદ વૃદ્ધ થાય તો તેને રસ્તે રઝળતા મુકી દેવામાં આવે છે. આજે ગામડા અને ખેતી દિવસે દિવસે ઓછી થવા લાગી છે. પરિણામે બળદને રસ્તે રઝળતા મૂકી દેવામાં આવે છે અને આ જોતા સદભાવના આશ્રમ દ્વારા બળદને કતલખાના જતા અટકાવી બળદને આશ્રય આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેની શરૂઆત નવરાત્રિના પ્રથમ નોરતાથી કરવામાં આવી છે. કુલ 2000 બળદને આશ્રય આપી તેની સારસંભાળ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

નિરાધર બળદ જુઓ તો ફોન કરવા અપીલ    સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વર્તમાન સમય સુધી 8 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમજ તેનો ઉછેર પણ કરવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ પોતાના અન્ય ઉત્કૃષ્ટ કાર્યો માનવ સેવા, પર્યાવરણની સાથે સાથે વધુ એક કદમ પશુ સેવા, જીવદયા તરફ લઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. જેમાં સંસ્થાને મો.7621058949 પર ફોન કરીને જાણ કરવા સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ અપીલ કરી છે.

80માંથી 10 બળદ બીમાર                                   પ્રથમ નોરતાથી આજ દિવસ સુધીમાં 80 જેટલા બળદને બળદ આશ્રમ ખાતે આશરો આપવામાં આવ્યો છે. જે પૈકી 10 બળદ બીમાર હાલતમાં છે. જેની સારવાર નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવી રહી છે. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળિયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે. આ વૃદ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

300 વૃદ્ધોને પાછોતરી જિંદગીની ટાઢક           વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધો પાસેથી કોઈ પણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં હાલ 300 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યાં છે. જેમાંથી 120 વડીલો તો પથારીવશ છે. એટલું જ નહીં વડીલોની સેવા કરવાની સાથે સાથે સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા અને પર્યાવરણ સેવાની અન્ય ઘણી પ્રવૃતિઓમાં પણ પ્રવૃત રહે છે.

error: Content is protected !!