ચોટીલામાં રોપ-વે પ્રવાસનને વેગ આપશે, શ્રદ્ધાળુઓને હવે ચામુંડા માતાજીના ડુંગર પહોંચવું આસાન
ચોટીલા:ગુજરાતનાં જૂનાગઢ, અંબાજી અને પાવાગઢ બાદ હવે ચોટીલામાં શ્રદ્ધાળુઓ માટે રોપ-વેની જાહેરાતથી શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા ખાતે રોપ-વેની મંજૂરીની જાહેરાત કરી હતી.
રોપ-વે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું સુરેન્દ્રનગર જીલ્લામાં ચામુંડા માતાજીનો ડુંગર અને મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ મુંડ વિનાશિની ચામુંડા કહેવાયા. ચોટીલા ડુંગર પર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર પર ચઢવા પગથીયા નહોતા તો પણ શ્રધ્ધાળુઓ આસ્થાભેર માતાજીના દર્શન કરવા આવતા હતા.
આશરે 155 વર્ષ ( વિક્રમ સંવત 1910થી 1915 ) પહેલા મહંત ગોસાઇ ગુલાબગીરી હરીગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા અને હાલ એમના વારસદારો વંશ પરંપરાગતરીતે ચામુંડા માતાજીની સેવા-પૂજા કરે છે.
ચોટીલામાં રોપવેની પરિકલ્પના સાકાર થતાં શ્રદ્ધાળુઓનો દરિયો ઉમટશે : મનસુખગીરી ગોસ્વામી (મહંત) આમ તો ચોટીલા લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી માનતા પુરી કરવા લોકો પગપાળા કે આળોટતા-આળોટતા કે સંઘ લઇને દર્શનાર્થે આવે છે. પણ આ ચોટીલા ચામુંડા માતાના ડુંગર પર 635 પગથીયા ચઢવા વૃધ્ધો, અશક્તો અને બિમાર લોકો માટે થોડું અઘરૂ બની બની જતુ હતુ. અને એમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા સત્રમાં ચોટીલાના ચામુંડા માતાના ડુંગર પર રોપ-વેની પરિકલ્પનાને મંજૂરીની મહોર લગાવતા હવે અહીં શ્રદ્ધાળુઓનો દરિયો ઉમટશે અને રાજકોટ જતા લોકો અહીં દર્શનાર્થે અવશ્ય ઉમટશે.
ચામુંડા માતાજી ગોહિલ વાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડીયા અને પરમાર કૂળના, રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ-સોમનાથ-વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કૂળદેવી તરીકે આસ્થાભેર પૂજાય છે.
ચામુંડા માતાજીના ડુંગર ચઢવા માટે હાલ 635 પગથીયા છે. જેમાં ચઢવા-ઉતરવા માટેની અલગ-અલગ વ્યવસ્થા છે. દર વર્ષે આષો માસની નવરાત્રીના આઠમા નોરતે ડુંગર ઉપર મંદિરના મહંત પરિવાર દ્વારા નવચંડી હવન કરવામાં આવે છે. માતાજીના ભોજનાલયમાં શ્રધ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. કારતક માસમાં નવા વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. ઉપરાંત દર માસની પૂનમે તેમજ પવિત્ર શ્રાવણ માસમાં સાતમ-આઠમ તથા દર રવિવારના દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા ખાતે રોપ-વેની મંજૂરીની જાહેરાત કરી હતી. ચોટીલા ચામુંડા માતાના ડુંગર પર રોપ-વે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ.