કાઠિયાવાડી ખેડૂતની મર્દાનગી, વૃધ્ધ ખેડૂતે મોત મીઠું કરી ચાર માસૂમ બાળકોની જીંદગી બચાવી
વાછારા ગામે બાજ પક્ષી એ ઝેરી મધમાખીના મધુપુડાને છંછેડતા ઝેરી મધમાખીઓ વિફરી હતી અને બાજુના ખેતરના ગોડાઉન પાસે શ્રમિક પરિવારના 4 બાળકો ઉપર હુમલો કર્યો હતો. જે વૃદ્ધ ખેડૂતના ધ્યાને આવી જતા ખેડૂતે પોતાની જાનની પરવા કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કર્યો હતો. આ દરમિયાન અસંખ્ય મધમાખીઓએ ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું મોત નીપજ્યું હતું.મધમાખીઓએ 4 બાળકો પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂત વચ્ચે આવી બાળકોના જીવ બચાવ્યા, પોતાનો જીવ ન બચાવી શક્યા
1.5થી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર હુમલો કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉંમર વર્ષ 69) પોતાના ખેતરે હતા ત્યારે આકાશમાંથી એક બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા 1.5થી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો.
ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી
જે દામજીભાઈ જોઈ જતા બાળકો પાસે દોડી ગયા હતા બાળકોને તુરંત જ ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ આ દરમિયાન ઝેરી મધમાખીના ઝુંડે દામજીભાઈને અસંખ્ય ડંખ મારી દેતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન તેઓનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી
વૃદ્ધ ખેડૂત દામજીભાઈ એ પોતાની જાનની પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી હતી દામજીભાઈને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે જેઓ ખેતીકામ સાથે સંકળાયેલા છે દામજીભાઈ સેવાભાવી સ્વભાવ ના હોય વાછરા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખે બિરાજી સમાજની અનેક સેવાઓ પણ કરી હતી તેઓના નિધનથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું