અમરનાથ, કેદારનાથ કે કૈલાશ માનસરોવર નહીં પણ સૌથી મુશ્કેલ છે શ્રીખંડ મહાદેવની યાત્રા
માનવામાં આવે છે કે હિમાલય આખો ભગવાન ભોળા શંભુનાથનો છે. ભગવાન શંકરના તમામ સ્થાનોએ પહોંચવું મુશ્કેલ હોય છે. પછી તે અમરનાથ હોય કે કેદારનાથ કે કૈલાશ માનસરોવર. આ તમામ સ્થાનો પર મહાદેવના દર્શન કરવા માટે ભક્તોએ દુર્ગમ રસ્તાઓ પરથી ચાલીને જવું પડે છે. જોકે, આ તમામ સ્થાનમાં સૌથી મુશ્કેલ સ્થાન શ્રીખંડ મહાદેવનું સ્થાન છે.
અમરનાથ યાત્રા દરમિયાન ભક્તો 14 હજાર ફૂટની ઊંચાઈ પર ચઢાણ કરે છે. તો શ્રીખંડ મહાદેવ માટે 18570 ફૂટનું ચઢાણ કરવું પડે છે. આ સ્થળ હિમાચલ પ્રદેશમાં છે. શિમલાના આની ઉમમંડલના નિરમંડ ખંડ સ્થિત બરફાચ્છાદિત પર્વત પર શ્રીખંડ ચોટી પર આ મંદિર છે. અહીંયા આવનાર ભક્તે અંદાજે 35 કિમી જેટલી જોખમભરી યાત્રા કરવી પડે છે. અહીંયા શિવલિંગની ઊંચાઈ 72 ફૂટ જેટલી છે.
શ્રીખંડ મહાદેવની યાત્રા જુલાઈમાં શરૂ થાય છે. આ યાત્રા શ્રીખંડ મહાદેવ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવે છે. સ્થાનિક પ્રશાસનની મદદથી આ ટ્રસ્ટ સ્વાસ્થ્ય તથા સુરક્ષા સંબંધિત વ્યવસ્થા પૂરી પાડે છે. સિંહગાડમાં રજિસ્ટ્રેશન તથા મેડિકલ ચેકઅપની સુવિઝા છે. આ સિવાય રસ્તામાં વિવિધ સ્થળોએ રોકાવાની સુવિધા છે. કેમ્પમાં ડોક્ટર્સ, પોલીસ તથા રેસ્ક્યૂ ટીમ પણ હોય છે.
માન્યતા છે કે શ્રીખંડમાં જ ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને નૃત્ય કરવા માટે મનાવ્યો હતો. કહેવાય છે કે ભસ્માસુરે નૃત્ય કરતાં સમયે પોતાનો હાથ માથા પર મૂકી દીધો હતો અને તે ભસ્મ થઈ ગયો હતો. સ્થાનિક લોકો માને છે કે આ જ કારણથી આજે પણ અહીંયા માટી તથા પાણી દૂરથી લાલ રંગના દેખાય છે.