ભાવનગરના એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસરે પિતાને જન્મદિનની શુભેચ્છા આપી,ચાર દિવસ બાદ વતન આવવાનો હતો પરંતુ તેણે આ પગલું ભરી લીધું
એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર ક્લાસ 1 રેન્ક ધરાવતા ભાવનગરના 25 વર્ષિય યુવાને ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન તેની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. તેમના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને આજે ભાવનગર ખાતે લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઈન્ડિયન એરફોર્સમાંની પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા (ઉ.વ.25) એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા. બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પુર્ણ કર્યાં બાદ ગ્વાલિયર તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા અને તેમના મૃતદેહને આજે સવારે ભાવનગર લાવવામાં આવ્ય બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પહેલા બેંગ્લોર ટ્રેનિંગ પુરી કરી ગત જાન્યુઆરી માસમાં ભાવનગર ઘરે આવ્યો હતો.
જે પછી તેમની ટ્રેનિંગ ગ્વાલિયરમાં ચાલતી હતી અને ત્યાં તેમણે આ પગલું ભર્યું હતું. તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેનો નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરે છે. આ મામલે તેમના કાકા કૃષ્ણદેવસિંહે જણાવ્યું હતું કે, નોકરીના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું છે. તે પરિવારને ઘણીવાર નોકરીના ટેન્શનની વાત કરતો. ભણવામાં ખુબ તેજસ્વી હતો. તેના મૃતદેહને લવાઈ રહ્યો છે.
પિતાને જન્મદિનની શુભેચ્છા આપી પગલું ભર્યું
14મી તારીખે તેના પિતા પ્રદ્યુમ્નસિંહનો જન્મદિવસ હતો અને તેમને જન્મ દિવસની શુભેચ્છા આપી તેણે ગળાફાંસો ખાધો, સ્થાનિક પોલીસને તેની ડાયરીમાં હેપી બર્થ-ડે, પપ્પા… તેવું લખેલું મળ્યું હતું. ચાર દિવસ બાદ તેને રજા મળવાની હોવાથી ભાવનગર આવવાનો હતો પરંતુ તેણે આ પગલું ભરી લીધું હતું.