અંતિમસંસ્કારમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા,ટ્રક-જીપની ટક્કરમાં સુશાંત સિંહ રાજપૂતના 5 સંબંધીઓએ જીવ ગુમાવ્યો…..
બિહાર; લખીસરાયના સિકન્દરા-શેખપુરાની પાસે એક ટ્રક અને સુમોની વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં છે. મૃત્યુ પામનારાઓ પૈકી 5 લોકો દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના દૂરના સંબંધી છે. ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના પિપરા ગામની પાસે NH-333 પર મંગળવારે સવારે 6 વાગ્યે બની હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ, ઘાયલોની સ્થિતિ હાલ ગંભીર છે.
અકસ્માતનો ભોગ બનેલામાંથી એક હરિયાણામાં ADGPના પદ પર તહેનાત સુશાંતના બનેવીના બનેવી હતા. તેમના બે ભાણા અને બે અન્ય સંબંધી પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ છે. કારના ડ્રાઈવરનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
આ દુર્ઘટના અંગેની માહિતી મોર્નિંગ વોક કરવા જતા લોકોએ હલસી પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસ બે કલાક પછી ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટના પછી 2 લોકોના મૃતદેહો ગાડીમાં ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ મૃતક જમુઈ જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. ટ્રક પર LPG ગેસ-સિલિન્ડર પણ હતાં.
એક જ પરિવારના તમામ સભ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, સુમોમાં સવાર તમામ 10 લોકો એક જ પરિવારના હતા. તેઓ જમુઈના સગદાહા ભંદરા ગામના લાલજીત સિંહની પત્ની ગીતા દેવીના અગ્નિસંસ્કર કરીને ગામમાં પરત ફરી રહ્યા હતા. દુર્ઘટનામાં ગીતા દેવીના પતિ લાલજીત સિંહ, મોટો પુત્ર અમિત શેખર ઉર્ફે નેમાની સિંહ, નાનો પુત્ર રામચંદ્ર સિંહ, પુત્રી બેવી દેવી, ભાણી અનિતા દેવી અને ડ્રાઈવર પ્રીતમ કુમારનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં
આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સિકંદરાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બંને લોકોને ગંભીર સ્થિતિમાં પીએમસીએચ, પટના રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પરથી મૃતદેહોને રિકવર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
લખીસરાયના SP સુશીલ કુમારે કહ્યું કે પિપરા ગામ પાસે આ દુર્ઘટના ઘટી હતી. NH-333 પર મંગળવારે સવારે ટ્રક અને સૂમો ગોલ્ડ વાહનની થયેલી જબરજસ્ત ટક્કરમાં ટાટા સૂમોમાં સવાર 10 લોકોમાંથી 6ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ છે. તેમાંથી બેને પટના મોકલવામાં આવ્યા છે.