આજથી 60% ગામડાઓમાં આચારસંહિતા:ગુજરાતમાં 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, બેલેટ પેપરથી મતદાન થશે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.
આમ આ સાથે જ રાજ્યના કુલ 18000 ગામડાંઓમાંથી 10,879 ગામોમાં એટલે કે 60 ટકા જેટલા ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે.
ભાજપની તૈયારી પૂરજોશમાં, AAP-કોંગ્રેસ અટવાયેલા ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે, ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ તો અટવાયેલી છે.
ચૂંટણી ભલે સિમ્બોલ પર ના લડાઈ, સરપંચો પક્ષોના સમર્થક કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે, તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના સમર્થક હોય છે.
ભાજપ પેજ પ્રમુખ-પેજ સમિતિની કામગીરી ઝડપભેર કરશે 10,315 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
AAP ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધે છે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે. આમ છતાં કેટલાક નેતાઓ પોતાની મેળે કાર્યક્રમો કરી રહ્યા છે, અને સંગઠનમાં પણ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.