ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો અથડાયાં, ભાજપ અગ્રણી અને તેમનાં પત્ની સહિત 3નાં મોત, 4 લોકો ઘાયલ
વલસાડ ; ભિલાડ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
કનાડુ ગામના દંપતીને અકસ્માત નડ્યો
વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ભિલાડ નજીક કનાડુ ગામના દંપતીનું મોત થયું છે તેમજ અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કનાડુ ગામના મુકેશભાઈ નામની વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પતિ અને પત્ની બન્નેનાં મોત થયાં છે.
ભાજપના અગ્રણીનું અકસ્માતમાં મોત થતાં શોકનો માહોલ
આ અકસ્માતમાં મૃત્યુ પામનારા મુકેશભાઈ કનાડુ ગામના રહેવાસી છે અને તેઓ પોતાની મ્યુઝિકલ પાર્ટી ચલાવતા હતા તેમજ ભાજપના અગ્રણી છે. ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય છે અને કનાડુ બેઠકના સભ્ય હતા. મુકેશભાઈ પોતાની પત્ની સાથે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. તેમનું તેમજ તેમની પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે, જેને લઈ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ પર ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.