60 મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગી, મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા, આવી રીતે બચાવ્યો પોતાનો જીવ, જુઓ
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક ચાલતી પ્રાઇવેટ બસમાં અચાનક આગ લાગી. જોત-જોતામાં તો આખી બસ ભડકે બળી ગઈ હતી. બસને આગમાં હોમાઈ જતા જોઇને ડ્રાઇવર અને કંડક્ટર પણ ભાગી ગયા. સહાયતા માટે ભીખ માગવા છતા કોઇ બચાવવા ન આવતા, મુસાફરો બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. બસમાં 60 યાત્રી સવાર હતા. બધા સુરક્ષિત છે.
ડ્રાઇવર અને કંડકટર મુસાફરોને છોડીને ભાગ્યા
આગરા-કાનપુર હાઇવે પર ઇટાવાના જસવંત નગરમાં આ દુર્ઘટના બની હતી. અહીં સરાય ભૂપત રેલવે ક્રોસિંગ પાસે સાગર ઢાબાની સામે રાત્રે 2 વાગ્યાની આસપાસ બસમાં ભીષણ આગ લાગી હતી. બસ 60 યાત્રિઓને લઈને દિલ્હી જઈ રહી હતી. હાઇવે પર અચાનક બસમાં એક સ્પાર્ક થયો અને નજીવી આગ લાગી હતી. ધીરે-ધીરે આગ વધતા ડ્રાઇવરે બસને રસ્તાની બાજુમાં ઊભી રાખી દીધી હતી. જ્વાળાઓએ જોર પકડ્યું ત્યારે બંને ડ્રાઇવર અને કંડકટર બસમાં ફસાયેલા મુસાફરોને છોડીને ભાગી છૂટ્યા હતા.
ટાયરથી તણખા ઝર્યા
ગણતરીની મિનિટમાં આખી બસ આગમાં હોમાઈ ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનની નંબર પ્લેટ વાળી એક પ્રાઈવેટ બસ મદારીપુરથી કાનપુર અને ત્યાંથી દિલ્હી ગઈ હતી. બસનું ટાયર ગરમ થઈ જતા સ્પાર્ક થયો અને અચાનક આગ લાગી ગઈ હતી. જોકે આ ઘટનાનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. ઘટનામાં કોઇના મૃત્યુ થયા નથી, પરંતુ કેટલાક લોકોનો સામાન રાખ થઈ ગયો હતો.