તબેલામાં આગ લાગતા 16 ગાય-વાછરડા સહિત 1 ઘોડીનું મોત, ફાયર સ્ટેશન દૂર હોવાથી અબોલ પશુઓના જીવ ન બચાવી શકાયા

ભરુચઃ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના તબેલા આજે બપોરે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થયું હતું. જ્યારે 12 ગાય-વાછરડા દાઝ્યા હતા. નેત્રંગથી 35 કિ.મી. દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાથી પશુઓને બચાવી શકાયા નહોતા. જેથી પશુપાલકે નજીકમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરી છે.

માત્ર 15થી 20 મિનિટમાં તબેલો બળીને થઈ ગયો ખાખ, જો કે 12 ગાય-વાછરડાને બચાવી લેવાયા હતા,તબેલામાં આગ લાગતા 16 ગાય-વાછરડા સહિત 1 ઘોડીનું મોત, ફાયર સ્ટેશન 35 કિ.મી. દૂર હોવાથી અબોલ પશુઓના જીવ ન બચાવી શકાયા

તબેલામાં આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, જોકે, તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ સ્ટોર કરેલુ હતું. જેથી ઘાસમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે તપાસ બાદ જ આગ લાગવાનું સાચુ કારણ બહાર આવશે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખેડૂત અને પશુપાલક રામભાઇ રાખોલીયા આજે બપોરે જમવા માટે બેઠા હતા. આ સમયે તેમના તબેલામાં અચાનક જ આગ ફાટી નીકળતા ગાય અને વાછરડાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેથી પશુપાલકોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે 15થી 20 મિનિટમાં તબેલો બળીને ખાખ થઈ ગયો હતો અને જેમાં ખીલે બાંધેલા 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મૃત્યુ થયું હતું. જોકે 12 ગાય વાછરડાને બચાવી લીધા હતા.

ખેડૂત અને પશુપાલ રામભાઇ રાખોલીયાના જણાવ્યું હતું કે, અમે જમવા બેઠા ત્યારે આગ લાગતા અમે બુઝાવવાના પ્રયાસો કર્યાં હતા. જોકે 17 પશુઓને અમે બચાવી શક્યા નહોતા. આ ઘટના 11 લાખથી વધુ નુકસાન થયું છે. નજીકમાં ફાયર સ્ટેશન હોત તો ગાય-વાછરડા અને પશુઓને બચાવી શક્યા હોત. જેથી નેત્રંગમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે તે જરૂરી છે.

error: Content is protected !!